18 જુલાઈ, 2018

સંબંધ એટલે શું ?


                               સંબંધ એટલે સમ+બંધ… સરખા બંધનથી બંધાયેલા બે જણા…

                  સંબંધ એટલે શું ?  આ વાક્ય ઘણી જગ્યાએ સાંભળવા મળે છે. ઘણી જગ્યાએ આપણે એવું સાંભળતા હોય છે કે આને આની જોડે સંબંધ તોડી નાખ્યો. આને સંબંધ સાચવતાં સારો આવડે છે. પણ આજની આ છીછરી દુનિયામાં સંબંધો પણ છીછરા થતાંં જાય છે. અમુક વખતે માત્ર નિભાવવા માટે જ સંબંધો રખાતાં હોય  છે. એવુંં પણ જોવા મળે છે.  પણ આ સંબંધ એટલે શું ? સંબંધમાં આવે શું ? સંબંધ ઘણા પ્રકારનાં હોય છે. એક જ વ્યક્તિ જુદી-જુદી જગ્યાએ જુદા-જુદા સંબંંધ નિભાવતો હોય છે. એવું આપણે દરેક જગ્યાએ જોઇએ  છીએ.

       આમ તો સંબંધ વિશે શું લખવું ? એ ખબર નથી પડતી પણ  આ એક એવી લાગણી છે કે દરેક પોતપોતાની રીતે અભિવ્યક્તિ કરે છે, સમજે છે અને જાણે છે. સંબંધની કોઇ ચોક્કસ વ્યાખ્યા કે સીમા નથી . એતો ખરેખર અનુભૂતિને આત્મા સાથે જોડનારી એક અનોખી કડી છે.

                                  સંબંધ એટલે શું ? પોતાની જાત પર કરેલો વિશ્વાસ.

     સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ .સંંબંધએ ચોમાસાના પહેલાં વરસાદ પછીની માટીની સુગંધ જેવો છે. સુગંધ માત્ર  અનુભવાય છે પણ પકડી શકાતી નથી તેવી જ રીતે સંબંધ પણ અનુભવી જ શકાય છે તેને પકડી શકાતો નથી.
   
       આ લાગણી અને અનુભવ એને અને સંબંધને શું લેવાદેવા ? પણ મિત્રો જ્યારે જ્યારે નવો સંંબંધ  બંધાય છે ને ત્યારે માત્રને માત્ર વ્યક્તિ જ બદલાય છે લાગણી અને અનુભવ નહિં .સંબંધ એ એક કુદરતી છે. એ કોઇની સાથે જબરદસ્તીથી ન કરી શકાય. અમુક વાર જે સંબંધોને કોઇ નામ કે ઓળખ નથી હોતી તેવાં સંબંધો દરેક સીમાઓ પાર કરીને પણ વિસ્તરે છે.

    સરળતાથી સંબંધ શરૂ થાય અને એ જ સરળતાથી સંબંધ આગળ વધે એ સંબંધમાં જ પ્રેમની સુવાસ ભળે અને સરળતાથી સંબંધ પૂરો થાય કે કોઇ કારણસર અલગ થવું પડે આમાં માત્ર સરળતા સિવાય કશાનું મહત્વ જ ના હોવું જોઇએ. સંબંધની બાબતમાં તમે કોઇને ભ્રમમાં લાંબો સમય રાખી ના શકો. તમને કોણ ચાહે છે કે કોણ નથી ચાહતું એની ખબર આપોઆપ પડી જાય છે.

     ક્યારેક સંજોગો, સમય, વિચારો અને વ્યક્તિના જીવનમાં જેમ પરિવર્તન આવે તેમ સંબંધ પર અસર થાય. એકસમયે સાથે હોય તેવી વ્યક્તિ સામસામે છેડે મૂકાઇ જાય. પરંતુ તેવા સમયે ધીરજ રાખીએ તો સામસામે ગોઠવાઇ ગયેલી વ્યક્તિઓ એક સર્કલ પૂરું કરીને ફરી સંબંધની સફર શરૂ કરી શકે. એટલે સંબંધોમાં ક્યારેક એવું લાગે કે સાવ અલગ થઇ જવાયું છે કે બધું છીનવાઇ ગયું છે ત્યારે જ તે સંબંધ એકબીજાનો સાચો અંશ બને છે. દૂર રહેવાથી સંબંધનું સ્વરૂપ જરૂર બદલાય છે પણ સાથે સાથે બંનેને ગાઢ સંબંધની અનુભૂતિ પણ થાય છે.

     સંબંધમાં મેળવવા કરતાં પામવાનું મહત્વ વધારે છે. મેળવીને નહીં પામીને જ સંબંધ નિરંતર રહે અને લાંબો સમય ટકી રહે . માંગ્યા વિના મેળવવું એટલે પામવું. આકાશને મેળવી ના શકાય પણ આકાશમય બનીને તેને પામી શકાય.

    માનવ માનવ વચ્ચેના સંબંધો શ્રેષ્ઠ કેવી રીતે બની શકે ?… માનવીને માનવીય સ્પર્શ ગમે છે. એવા સંબંધોમાં એક પ્રકારની હૂંફ હોય છે. જેમ કે આપણે કોઇ દર્દીને દવાખાનામાં જોવા જઇએ ત્યારે એનું દર્દ આપણે નથી લઇ શકતા પણ એક હૂંફ આપીએ છીએ. માનવ માનવ વચ્ચેના સંબંધોમાં જો સ્વાર્થ હશે તો એ સંબંધ ક્યારેય શ્રેષ્ઠ નહીં બની શકે.

          સંબંધો ક્યારેય સ્વાર્થની સીડી ના બનવા જોઇએ…એ ખાસ ધ્યાન રાખવું જોઇએ.

     સંબંધ નિભાવો તો આખી જિંદગી નિભાવી રાખો. કેમ કે જો સંબંધ તૂટશે તો તમારી પાસે કંઇ જ બાકી રહેશે નહિ. સંંબંધ અરિસા જેવો છે આખો હોય ત્યાંં સુધી જોવો ગમે અને તુટી જાય ત્યારે એ જ અરિસો કાચ બનીને વાગે.

      હકસલએ જણાવેલું કે" સંબંધમાં જે કંઈ બને છે તે અનુભવ નથી, પરંતુ જે  કંઇ બને છે તે સમયે તમે જે રીતે વર્તો છો એ સાચો અનુભવ છે"

         શ્રેષ્ઠ સંબંધ કોને કહેવાય?… જેને હાસ્યથી આવકારાય, જ્યાં કૃત્રિમતા ના હોય, સ્વાર્થનો તાંતણો પણ ના હોય અને જ્યાં હકથી માણસ જઇ શકે એ સંબંધ શ્રેષ્ઠ કહેવાય.
   
   અગાઉ પણ કીધુ એમ સંબંધની પરિભાષા દરેક વ્યક્તિની અલગ અલગ હોય....આ મારી સમજ અને મારી પરીભાષા છે.બાકી સાચા સંંબંધ વિશે લખવા બેસીએ તો પાનાં ના પાનાં ભરાય....

      અંતે સંબંંધ માટે કહેવાયું છે કે......

   સંબંધ એટલે શું
જયાં શબ્દો ગોઠવ્યા વગર વાત કરી શકાય
આસું છુપાવ્યા વગર રડી શકાય સંકોચ રાખ્યા વગર મદદ 
માંગી શકાય, એ જ સાચો સંબંધ 
       
સંબંધ એટલે શું ? saurabhkumarpatel.blogspot.com